વિશ્વ વન્યજીવ દિન પર મોદીએ ગીરમાં લાયન સફારીનો આનંદ માણ્યો

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે સોમવાર, 3 માર્ચની સવારે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ગીર વન્યજીવ અભયારણ્ય ખાતે લાયન સફારીનો આનંદ લીધો હતો. વડાપ્રધાને સફારી દરમિયાન જોવા મળેલા સિંહોની તસવીરો પણ પોસ્ટ કરી હતી.

X પરની એક પોસ્ટમાં મોદીએ જણાવ્યું હતું કે સામૂહિક પ્રયાસોને કારણે એશિયાટીક સિંહોની વસ્તીમાં સતત વધારો થયો છે. વડાપ્રધાને એશિયાટીક સિંહોના નિવાસસ્થાનને જાળવવામાં આસપાસના વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ અને મહિલાઓના યોગદાનની પ્રશંસા કરી હતી. મોદીએ જણાવ્યું હતું કે આજે સવારે, #WorldWildlifeDay પર, હું ગીરમાં સફારી પર ગયો હતો, જે આપણે બધા જાણીએ છીએ કે તે એશિયાટીક સિંહોનું ઘર છે. ગીરમાં આવવાથી ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે સેવા આપી હતી ત્યારે અમે જે સામૂહિક કાર્યો કર્યા હતા, તેની ઘણી યાદો પણ તાજી થઈ હતી. છેલ્લા ઘણા વર્ષોમાં, સામૂહિક પ્રયાસોથી એશિયાટિક સિંહોની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. એશિયાટિક સિંહોના નિવાસસ્થાનને જાળવવામાં આદિવાસી સમુદાયો અને આસપાસના વિસ્તારોની મહિલાઓની ભૂમિકા એટલી જ પ્રશંસનીય છે.

લાયન સફારી દરમિયાન વડાપ્રધાન મોદી સાથે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, અન્ય પ્રધાનો અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પણ હતાં. આ પછી મોદી ગીર વન્યજીવ અભયારણ્યના મુખ્ય મથક સાસણ ગીરમાં નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની સાતમી બેઠકની અધ્યક્ષતા કરવા ગયા હતા.

કેન્દ્ર સરકારે એશિયાટીક સિંહોના સંરક્ષણ માટેના પ્રોજેક્ટ લાયન માટે રૂ.2,900 કરોડથી વધુ મંજૂર કર્યા છે, હાલમાં,એશિયાટીક સિંહો ગુજરાતના 9 જિલ્લાના 53 તાલુકાઓમાં લગભગ 30,000 ચોરસ કિલોમીટરમાં વસવાટ કરે છે.વધુમાં, રાષ્ટ્રીય પ્રોજેક્ટના ભાગ રૂપે, જૂનાગઢ જિલ્લામાં નવા પીપળ્યા ખાતે 20.24 હેક્ટરથી વધુ જમીન પર વન્યજીવ માટે રાષ્ટ્રીય રેફરલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. સાસણમાં વાઇલ્ડલાઇફ ટ્રેકિંગ માટે હાઇ-ટેક મોનિટરિંગ સેન્ટર અને સંરક્ષણ પ્રયાસોને મજબૂત કરવા માટે એક અત્યાધુનિક હોસ્પિટલ પણ સ્થાપવામાં આવી છે.

અગાઉ, મોદીએ સોમનાથથી આગમન પછી સાસણમાં રાજ્યના વન વિભાગ દ્વારા સંચાલિત ફોરેસ્ટ ગેસ્ટ હાઉસ સિંહ સદન ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. સોમનાથમાં મોદીએ રવિવારે સાંજે 12 જ્યોતિર્લિંગોમાંના પ્રથમ ભગવાન શિવ મંદિરમાં પ્રાર્થના કરી હતી.રવિવારે મોદીએ રિલાયન્સ જામનગર રિફાઈનરી સંકુલમાં સ્થિત પ્રાણી બચાવ, સંરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર વનતારાની પણ મુલાકાત લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *